શુક્રવાર, 13 જાન્યુઆરી, 2012

વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]
ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે મારે રિટાયર થવાને તો ઘણીવાર હતી અને હું કોઈ એવા મહાન કુટુંબમાં જન્મ્યો નહોતો કે સફેદ વાળ જોઈ રિટાયર થઈ જાઉં ને મારા પુત્રને મારી ખુરશી પર બેસાડી દઉં !
પ્રભુએ જ્યારે મારું નિર્માણ કર્યું ત્યારે સૌંદર્યની સામગ્રી વાપરવામાં એમણે સારી પેઠે કરકસર કરી હશે એવું બીજાઓને જ નહીં મને પણ ઘણીવાર લાગ્યું છે, પણ પછી પ્રભુને પસ્તાવો થયો હોય કે ગમે તેમ પણ મને પ્રભુએ સુંદર લાંબા કાળા વાળ આપ્યા ને એ રીતે ચહેરાની અસુંદરતા સરભર કરી આપી હતી. પરંતુ ચહેરાની અસુંદરતા આજ સુધી ટકી છે ને જીવનના અંત સુધી ટકી રહેશે, પણ વાળ ધીરેધીરે ઓછા, આછા ને સફેદ થતા રહ્યા. કોઈ અબજોપતિ માણસ ધીરે ધીરે ગરીબ થવા માંડે એવી મારી સ્થિતિ થઈ છે. વર્ષો સુધી જ્યાં નિવાસ કર્યો એવા મારા માથાને છોડતાં વાળને શું થયું હશે તે હું કહી શકતો નથી, પણ વાળની વિદાય મારા માટે વહલાની વિદાય જેટલી જ વસમી થઈ પડી છે.
દરરોજ માથામાં તેલ નાખતાં પહેલાં હું મારા વાળનું નિરીક્ષણ કરવા માંડ્યો. ‘વાળ’ એ ‘અકાઉન્ટેબલ’ (ગણી ન શકાય તેવી) સંજ્ઞા છે, પરંતુ મને લાગ્યું કે મારા વાળ વ્યાકરણ સામે બળવો કરીને ‘કાઉન્ટેબલ’ (ગણી શકાય તેવી) સંજ્ઞા બનવા કૃતનિશ્ચય છે. ‘વાળવિષાદયોગ’ના દિવસોમાં પૉઝિટિવ થિંકિંગનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ની જાદુઈ અસર ગાંધીજી પર થઈ હતી એવી આ પુસ્તકની જાદુઈ અસર મારા પર થઈ. (અહીં તુલના બે પુસ્તકો વચ્ચે છે, મારી અને ગાંધીજી વચ્ચે નથી એની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) વાળની વસમી વિદાય અંગે જીવ બાળવા કરતાં મિશ્ર સરકારના વડા પોતાની સાથે હોય એમાંથી કોઈ જતું ન રહે એની કાળજી રાખે છે, એ રીતે મારા માથા પરના શેષવાળમાંથી હવે ઓછા ન થાય એની કાળજી લેવાનો અને સાથે સાથે જતા રહેલા વાળ પાછા આવી, ફરી મારા માથાને શોભાવે એ માટે પણ પુરુષાર્થ કરવાનો મેં નિશ્ચય કર્યો. આ પુરુષાર્થ માટે જે કંઈ અર્થવ્યય કરવો કે તે કરવા પણ હું તૈયાર થયો.

‘તમે સારું આયુર્વેદિક તેલ વાપરો.’ એક મિત્રે મને સલાહ આપી. (જો કે એ મિત્ર માથા પર વિગ પહેરે છે.) મિત્રની સલાહ સ્વીકારી આયુર્વેદિક દવાઓની દુકાને ગયો. કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. યુવાનના માથા પર ટાલ ઝગમગી રહી હતી. યુવાનની ટાલ જોઈ મારો ઉત્સાહ થોડો મંદ તો પડી ગયો, છતાં ‘પૉઝિટિવ થિંકિંગ’નો અભિગમ જાગ્રત કરી મેં એ કેશવિહીન યુવાનને કહ્યું, ‘માથામાં નાખવાનું સારું તેલ છે ?’
‘છે.’ યુવાને એકાક્ષરી જવાબ આપ્યો.
‘શો ભાવ છે ?’
‘કાકા, કોને માટે તેલ જોઈએ છે ?’
‘કેમ ? સીનિયર સિટિઝનો માટે કોઈ સ્પેશિયલ પ્રકારનું તેલ આવે છે ?’ મેં પૂછ્યું.
‘એવું તો નથી, પણ તમારી વાત પરથી લાગે છે કે તમારે તમારા માટે જ તેલ જોઈએ છે.’
‘હા, મારે મારા માટે જ તેલ જોઈએ છે.’
‘કાકા, હું તો તમારાથી ઘણો નાનો છું એટલે મારાથી તમને સલાહ ન અપાય; પણ કાકા, આ ઉંમરે તમારે એક હજાર રૂપિયાની બોટલવાળું તેલ વાપરવાની શી જરૂર છે ? માથા પર પચાસ વાળ રહ્યા કે પચ્ચીસ રહ્યા, અરે સાવ ન રહ્યા તોય શો ફેર પડે છે ? મને તો ત્રીસ વર્ષ જ થયા છે; આ મારી પોતાની દુકાન છે ને તોય હું આવું મોંઘું તેલ વાપરતો નથી- માથા પર ટાલ પડી ગઈ છે તોય.’ મને લાગ્યું કે આ યુવાન કોઈ યોગભ્રષ્ટ આત્મા છે ને હરિદ્વાર કે હૃષિકેશના કોઈ આશ્રમમાં હોવાને બદલે અહીં મહાનગરમાં વસી રહ્યો છે. એની સલાહ ખોટી નહોતી છતાં હું તો તેલ ખરીદવા કૃતસંકલ્પ હતો એટલે મેં કહ્યું, ‘તમારી સલાહ માટે આભાર; પણ મારે તેલ જોઈએ જ છે.’ સદભાગ્યે મારી પાસે પંદરસો રૂપિયા હતા. એમાંથી મેં એને પાંચસો-પાંચસોની બે નોટ આપી અને યુવાને કચવાતે જીવે (મને એવું લાગ્યું) મને તેલ આપ્યું. યુવાને મને સલાહ આપી તો એનું ઋણ ફેડવા માટે મારે પણ એને થોડી સલાહો આપવી જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ મેં પણ ‘આ રીતે તેલ ખરીદવા માટે આવેલા ગ્રાહકને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહ કરતા રહેશો તો દુકાન બંધ કરવાનો વખત આવશે.’ એવી થોડી સલાહો આપી.
તેલ ખરીદીને હું ઘરે આવ્યો. હું અકબર બાદશાહ કે સમ્રાટ અશોક હોત તો મેં માથાના વાળ વધારે ને કાળા કરે એવા તેલના હોજ બનાવડાવ્યા હોત; પણ આજની સ્થિતિમાં તો હજાર રૂપિયાનું તેલ ખરીદવાનું પણ મારા ખિસ્સાને કોઈ રીતે પરવડે એમ નહોતું. વાળ વધે કે ન વધે, આ મહિને દેવું તો ચોક્કસ વધવાનું હતું. આ ખર્ચનું એડજેસ્ટમેન્ટ કરવાની ચિંતામાં થોડા વધુ વાળ ખરી જાય એ પણ તદ્દ્ન અસંભવિત હતું. આ બોટલ પાછી આપવા જાઉં તો પેલો ભલો યુવાન ચોક્કસ પાછી રાખી લે, પણ એમ કરતાં મને સંકોચ થયો. ઘરે આવ્યો ત્યારે સદભાગ્યે જીવનસખી ઘરે નહોતી. એની એક સખીને ત્યાં મિત્રમંડળની બેઠક હતી એમાં જવાને કારણે છેક સાંજે આવશે એવા નિર્દેશવાળી એની ચિઠ્ઠી ટેબલ પર હતી. આ ચિઠ્ઠી વાંચી મને થોડી નિરાંત થઈ. સાંજ સુધીમાં તો આટલું મોંઘું તેલ ખરીદવાનાં કારણો સૂઝી આવશે એમ મને લાગ્યું. આ તેલનું સિંચન થયા – ભેગું જ મગજ વધુ તેજ ગતિએ ચાલવા માંડશે એવી આશા પણ મને બંધાઈ. સામાન્ય રીતે આજનાં કામ કાલ પર ઠેલવાની મારી પ્રકૃતિ છે, પણ આ તેલનો પ્રયોગ ‘આજ આજ ભાઈ અત્યારે’ની ભાવનાથી શીઘ્રાતિશીઘ્ર આરંભવાનો મને વિચાર આવ્યો. તેલનો શીશો લઈ હું બાથરૂમમાં ગયો. જેવો માથા પર તેલનો અભિષેક કરવા અરીસામાં જોઈ મેં હાથને સહેજ વાળ્યો કે તૂટેલા કાચને કારણે એક ચકલું ફર….ર..ર…. કરતું બાથરૂમની બારીમાંથી ઘસી આવ્યું. ચકલાના ઓચિંતા પ્રવેશથી અને સ્પર્શથી મારો હાથ હલી ગયો ને અર્ધો શીશો તેલ માથા પર ઢળી ગયું. માથું આટલા મોટા પ્રમાણમાં તેલ સંઘરી શક્યું નહીં એટલે તેલના રગેડા શરીર પર ઊતર્યા. અણધારી પરિસ્થિતિ ઊભી થતાં થોડીવાર તો શું કરવું તે મને સૂઝ્યું નહીં. માથું ધોઈ નાખું તો અઢીસો-ત્રણસો રૂપિયાની કિંમત જેટલું તેલ એમ જ નિરર્થક વહી જાય – અને ન ધોઉં તો તેલથી તરબતર માથા સાથે સમય વ્યતીત કરવો પડે. આખરે માથું ધોવાનું માંડી વાળી તેલ અને વાળનો સંયોગ અખંડ રાખવાનો મેં નિર્ણય કર્યો.
શરીરે માત્ર ચડ્ડી ધારણ કરી, તેલ-નીતરતા શરીરે હું બાથરૂમની બહાર આવ્યો. વધારે પડતી વર્ષા પછી ક્યારામાં પાણી સમાય નહીં તેમ તેલ મારા અલ્પસંખ્યા વાળમાં સમાતું નહોતું. હાથથી શરીર પરનું તેલ લૂછી લૂછી હું માથા પર ચોપડવા લાગ્યો, પણ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોય તેમ મારું માથું તેલ સંઘરવાનો ઈનકાર કરવા લાગ્યું. આખરે વહી જતાં તેલને રોકવા મેં માથા પર મોટું સફેદ કપડું બાંધ્યું. કપડું બાંધી કાચમાં જોયું તો હું કોઈ પ્રખર સર્વોદય કાર્યકર જેવો શોભી રહ્યો હતો. આટલા બધા તેલને કારણે કદાચ આવતીકાલે જ મારા માથા પર જથ્થાબંધ વાળ ઊગી નીકળશે એવી આશા મને બંધાઈ ! જો કે અતિવર્ષાને કારણે વાવેલું બધું નકામું થઈ જાય છે તેમ અતિ તેલ સિંચનને કારણે મારા રહ્યા-સહ્યા વાળ પણ જતા નહીં રહે ને એવી મને બીક પણ લાગી.
મનની આવી હાલક-ડોલક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ડોરબેલ વાગી. કોણ હશે એવો વિચાર કરતો બારણા પાસે ગયો. કી-હોલ દ્વારા આગંતુકનું દર્શન કરવા પ્રયાસ કર્યો, પણ આગંતુક કી-હોલની સીધી રેખામાં ઊભાં નહોતાં. અલબત્ત, પોશાક પરથી કોઈ સન્નારી છે એટલી ખબર અવશ્ય પડી. પણ તેથી મારી મૂંઝવણમાં ઉમેરો થયો. આવી સ્થિતિમાં કોઈ સન્નારી સમક્ષ ઉપસ્થિત થવાનું એક શિષ્ટ નાગરિક તરીકે મારા માટે શોભાસ્પદ નહોતું અને આંગણે આવેલા અતિથિ માટે દ્વાર ન ખોલવાનું એક ખાનદાન યજમાન તરીકે મારા માટે ઉચિત નહોતું. હું ખરે જ દ્વિધામાં મુકાયો. ત્યાં ફરી ઘંટડી રણકી – ફરી દ્વિધા – બારણું ખોલું ? કે ન ખોલું ? આખરે દ્વાર ખોલી પહેલાં ઝડપથી બાથરૂમમાં ઘૂસી જવું ને બંધ બાથરૂમમાંથી સંવાદ ચલાવો એવો વિચાર કરી મેં દ્વાર ખોલ્યાં….. ને સામે બારણું ખોલવામાં વાર લગાડવા બદલ ઠપકો આપવા તત્પર એવી જીવનસખી ઊભી હતી !

તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની

26મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાક દિન. સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા. સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.
સને 2001 – ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ. લોકો ખૂબ ઉત્સાહથી આ પર્વ માણતા હતા. સવારે ધ્વજ ફરકાવવાના અને ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા, ત્યાં અચાનક ગુજરાતની ધરતી ધ્રૂજવા માંડી. આંચકો એવો ભારે હતો કે અંજાર ગામની શાળાનાં બાળકો હાથમાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં ‘ભારત માતાની જે’ પોકારતાં સરઘાસાકારે ગામમાં ફરતાં હતાં ત્યાં ચારે બાજુનાં મકાનો તૂટી પડ્યાં ને સેંકડો બાળકો ને કેટલાયે શિક્ષકો મોતને ભેટ્યા. આ ભૂકંપમાં અડધો લાખ જેટલાં માણસો મરી ગયાં ને એથી વધારે ઘાયલ થયાં, હજારોની સંખ્યામાં ઘર તૂટી પડ્યાં, કરોડોની મિલકત સાફ થઈ ગઈ. કચ્છમાં પાર વગરનું નુકશાન થયું. અમદાવાદમાં પણ અસંખ્ય મકાનો તૂટી પડ્યાં અને હજારથી વધારે માણસો દટાઈ મર્યાં.
હું તે વખતે અમદાવાદના મારા ફલેટમાં હતો. ચાર માળના બિલ્ડિંગમાં મારો ફલેટ ત્રીજે માળે હતો. નાહીધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો ને છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખીને એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે બાબલો (શ્રીરામનો પુત્ર એટલે કે મારો પૌત્ર ગૌરવ) અટકચાળું કરે છે, તેથી કંઈ બોલ્યો નહીં. ત્યાં ફરી મોટો આંચકો આવ્યો. મેં કહ્યું : ‘બબલુ, મને વાંચવા દે !’ વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : ‘બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે ?’

હજુ હું છાપું જ વાંચતો હતો, ત્યાં રેણુકા (પુત્ર શ્રીરામની પત્ની) સોફા પર મારી જમણી બાજુએ આવીને બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. મને તેની આ વર્તણૂક નવાઈની લાગી. એટલામાં ફરી ચોથો આંચકો આવ્યો ને સોફો ખસ્યો. મેં રેણુકાને કહ્યું : ‘બાબલો આજે કેમ આમ તોફાને ચડ્યો છે, સોફાને ધક્કા માર્યા કરે છે !’
હવે એ બોલી; કહે : ‘બાબલો નથી.’
તરત મને ભાન થયું, મેં કહ્યું : ‘તો શું ધરતીકંપ છે ?’
‘હા !’
‘તો છોકરા ક્યાં છે ?’
‘બધાં નીચે ઊતરી ગયાં.’
‘તો તું કેમ ન ગઈ ? બધાંએ તરત ચાલી જવું જોઈએને ?’
‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં ?’
‘જતાં જતાં મને બૂમ પાડીને કહેવું હતું ને ?’ હું તરત ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. રેણુકા મારો હાથ પકડી મને લઈ ચાલી. લિફટ બંધ, ફોન બંધ, વીજળી બંધ – ત્રણ દાદરા ઊતરવાના; મને દેખાય નહીં, તેથી મને સાચવવાનો અને છતાં ઝડપથી ઉતરવાનું. ત્રણ દાદરા ઊતર્યા પછી વલી લાંબી પડાળી પાર કરવાની. બધું વટાવીને અમે બહાર રસ્તા પર જઈ ઊભાં, ત્યારે કંપ બંધ થઈ ગયો હતો. કટોકટીનો કાળ અમે ફલેટમાં જ વિતાવ્યો હતો. મકાન હાલ્યું, પણ પડ્યું નહીં, અમે બચી ગયાં.
ધરતીકંપની ભયાનકતાનો મને ખ્યાલ હતો. કવેટા અને બિહારના ધરતીકંપોની ભીષણ હોનારતના વૃત્તાંતો મેં વાંચેલા; સને 1956ના અંજાર (કચ્છ) ના ભૂકંપની અસર મેં જાતે ત્યાં જઈને જોયેલી પણ ખરી. છેલ્લાં થોડાં વર્ષોમાં લાતૂર અને ચમેલીના ભૂકંપોના હૃદયદ્રાવક અહેવાલોથી હું માહિતગાર પણ હતો. પરંતુ રેણુકાના મોઢે ધરતીકંપનું જાણ્યું ત્યારે પણ હું તદ્દન સ્વસ્થ હતો – હૃદયનો એક ધબકાર પણ વધ્યો કે ઘટ્યો નહોતો; શાંતિથી દાદરા ઊતરી હું બહાર આવ્યો ને મકાનનું શું થાય છે તે જોતો ઊભો.
તે દિવસે સવારે નવદશ વાગ્યે મારા નાના ભાઈ ચીમનલાલના દીકરા જસવંતની દીકરી નીપાનાં લગ્ન હતાં અને સવારે છ વાગ્યે સૂરતથી જાન આવી હતી. અમારાં બધાં જ સગાં બહારગામથી આ પ્રસંગે આવેલાં હતાં – લગ્નસ્થળનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું હતું. જસવંતનો ફલેટ અને મારો નાનો દીકરો જયરામ જ્યાં રહેતો હતો તે ફલેટ પણ હીંચકાની પેઠે હાલી ગયો હતો – મકાનોને નુકશાન થયું, પણ કોઈની જાનહાનિ ન થઈ એટલું સદભાગ્ય. આગમાં કે પૂરમાં કોઈ કીમતી જણસને કે માણસને બચાવવા માટે થોડી ક્ષણ રોકવામાં યે જોખમ તો ખરું, પરંતુ ધરતીકંપ વખતે તો અડધી પળ રોકવામાંયે અતિ અતિ જોખમ; તે વખતે કશું કે કોઈને બચાવવા જતાં બચાવવા જનારું પોતે ય એમાં હોમાઈ જાય એવો પૂરેપૂરો ભય. એવું જોખમ લેવાય જ નહીં. હું આ વાત સ્વીકારું છું અને માનું છું કે રેણુકાએ મને છોડી તરત જ ચાલી જવું જોઈતું હતું. પણ એ કેમ ન જઈ શકી ?
સામાન્ય રીતે ધરતીકંપની થોડી સેકંડોમાં જ મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. અમે કંઈ નહીં તો બે મિનિટ એનું કંપન અનુભવ્યું હશે. તે પછી 94 વર્ષના આંખે નહીં ભાળતા વૃદ્ધને ત્રીસ પગથિયાં ઊતરતાં અને તે ઊતર્યા પછી પણ ત્રીસ ફૂટની પડાળી કાપતાં કેટલો વખત લાગ્યો હશે તેની કલ્પના કરો અને એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી ! ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં?’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને ? પણ પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.
ધરતીકંપ આવ્યો અને ગયો. સમજ જતાં છ-બાર મહિને કે વર્ષે બે વર્ષે ભુલાઈ પણ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે, જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં તેમની વેદનાયે ધીરે ધીરે શમતી જશે અને પછી પ્રગટતી જશે આ ધરતીકંપે માનવતાને ઢંઢોળી કેવી જાગૃત કરી પ્રવૃત્ત કરી તેની, માનવીને માત્ર મૂઠી ઊંચેરો નહીં, પણ આભ ઊંચેરો સાબિત કરે તેવી, પથ્થરમાં પ્રાણ પૂરે તેવી કથાઓ. એ કથાઓ માનવીય સંસ્કૃતિનો, એકવીસમી સદીના પહેલા પરોઢના માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.
એ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં ?’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે ‘તને છોડીને હું કેવી રીતે જાઉં ?’